મોટાભાગનાં લોકો બારે મહિના આદુનો ઉપયોગ કરતા હોય છે. આદુનો મુરબ્બો, અથાણું, ચટણી, રાયતું, દાળ, ચા, મસાલા ઇત્યાદિમાં અનેક પ્રકારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આદુ આયુર્વેદીય ઔષધ છે. પક્વ આદુને સૂકવવાથી સૂંઠ બને છે. આદુ કરતાં સૂંઠ વધારે તીવ્ર હોય છે.
આદુના બે પ્રકાર હોય છે. એક રેસાવાળું અને બીજું રેસા વગરનું. ઉત્તમ આદુ રેસા વગરનું અને પ્રમાણમાં મોટી ગાંઠવાળું ગણાય છે. આવા આદુમાંથી બનાવેલી સૂંઠ પણ ઉત્તમ ઔષધ ગણાય છે. આદુમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. તો આજે જોઇએ આદુનાં કેટલાક ઉપાયો જે નાની મોટી બીમારીમાં રાહત આપે છે.
કોઇને પણ ખાંસી, શરદી કે સળેખમની તકલીફ હોય તો આદુનો રસ એક ચમચી, નાગરવેલનાં પાનનો રસ એક ચમચી અને મધ એક ચમચી મિશ્ર કરીને દિવસમાં ત્રણ વખત ચાટવા આપવું. બાળકોને અડધી ચમચીની માત્રા રાખવી. આ લેવાથી ફાયદો થાય છે.ખાંસી-ઉધરસનું જો વધુ પડતું જોર હોય તો આદુના રસમાં એક ચમચી સિતોપલાદિ ચૂર્ણ સાથે ચાટી જાવ. કફ હશે તો પાકી જશે.
આદુ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.આહારમાં આદુનો નિત્ય પ્રયોગ અથવા પા ચમચી ખુરાસાની અજમાના ચૂર્ણ સાથે એક ચમચી આદુનો રસ દિવસમાં ત્રણ વખત પેટના તમામ કૃમિનો નાશ થાય છે.
આદુની સૂકવણી કરીને તેને મુખવાસ તરીકે પણ જમ્યા બાદ ખાવામાં આવે છે. વળી, આદુનું નિયમિત સેવન પાચનને તો મજબૂત બનાવે જ છે સાથે સાથે તે ભૂખ વધારવાનું કામ પણ કરે છે.એક ચમચી આદુનો રસ, એક ચમચી સાટોડી, પુનર્નવાનો રસ, એક ચમચી ગોળ સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી દરેક પ્રકારના સોજા ઓછા થઈ જાય છે.
કમળો મટી ગયા પછી એક ચમચી ત્રિફળા ચૂર્ણ, બે ચમચી આદુના રસ સાથે દિવસમાં બે વખત લેવાથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.