બીસીસીઆઈ હાલના દિવસોમાં આઈપીએલની તૈયારીમાં લાગેલું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થઈ જાય તો આઈપીએલનું આયોજન કરવામાં આવશે.
જોકે બીસીસીઆઈનો કોઈપણ અધિકારી આ વિશે ખુલીને વાત કરી રહ્યો નથી કે આઈપીએલનું આયોજન કેવી રીતે થશે. તેનું કારણ હવે સામે આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ પોતાના અધિકારીઓને મીડિયામાં કોઈપણ પ્રકારની વાતચીત કરવાથી સખત રીતે ના પાડી છે. આમ કરવામાં જો અધિકારી ફેલ થશે તો તેને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના સચિવ જય શાહે મુંબઈ અને બેંગલુરુ ઓફિસમાં કામ કરનાર લગભગ 100 કર્મચારીઓને ઇ-મેલ કરીને બીસીસીઆઈની કોઈપણ જાણકારી લીક કરવા સામે સખત સલાહ આપી છે.
ઇ-મેલમાં લખવામાં આવ્યું છે કે અમે જોયું છે કે કેટલાક બીસીસીઆઈ કર્મચારી મીડિયામાં જઈને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ આપણા કોન્ટ્રાક્ટની વિરુદ્ધ છે અને તેમાં બીસીસીઆઈની સંવેદનશીલ જાણકારી લીક થવાનો ખતરો છે.
આવામાં જો કોઈપણ બીસીસીઆઈનો કર્મચારી જાણકારી વગર આમ કરશે તો તેને પગાર વગર સસ્પેન્ડ કરવામાં આવશે. નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવી શકે છે.