મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 3 કરોડ 36 લાખ ગરીબ-અંત્યોદય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા 68.71 લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. જેની શરૂવાત ૧પમી જૂનથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું 17 હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ શરૂ થશે.

અગાઉ એપ્રિલ મહિનામાં લોકડાઉનની સ્થિતી દરમ્યાન NFSA 68 લાખ પરિવારોને રૂ. 802 કરોડની બજાર કિંમતનું 36.18 લાખ ક્વિન્ટલ અનાજ તથા મે મહિનામાં 36.18 લાખ ક્વિન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ રાજ્ય સરકારે કર્યુ છે.
તો સાથે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ જૂન મહિનામાં વ્યકિતદિઠ 3.50 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને પરિવારદિઠ 1 કિલો ચણા વિનામૂલ્યે અપાશે.
હવે સતત ત્રીજીવાર જૂન મહિના માટે પણ આવું વિનામૂલ્યે અનાજ વિતરણ 68 લાખથી વધુ NFSA પરિવારોને તા.15મી જૂનથી કરવાની સંવેદના મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી છે.
અંદાજે 36.87 લાખ ક્વિન્ટલ અનાજ રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિતરણ કરાશે.