કોવિડ -૧૯ નો રોગચાળો વકરવાને પગલે બેંકોમાં કામકાજના સમયમાં ઘટાડો કરાયો છે. ગ્રાહકોને ખાતેદારોને બપોરે ૨ વાગ્યા સુધી જ બેંકમાં આવવા માટે સૂચના અપાઈ છે જ્યારે સરકારી બેંકોમાં તેમજ સહકારી બેંકો માં કર્મચારીઓને સાંજે ૫ વાગ્યા સુધી બેસાડી રાખીને અન્ય કામકાજ કરાવવામાં આવતા હોવાનો અને સરકારી બેંકો જ કોવિડ -૧૯ ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી હોવાનો મહાગુજરાત બેંક એમ્પ્લોયીઝ એસોસીએશને આક્ષેપ કર્યો છે.
બેંક કર્મચારીઓને સાંજે ૫ વાગ્યા સુધી બેંકમાં બેસાડી રખાતા હોવાથી કર્મચારીઓના કોરોના સંક્રમણનું સંકટ તોળાય છે. કોરોનાના સેકન્ડ વેવમાં અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ બેંક કર્મચારીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે . ગુજરાતમાં અંદાજે ૯,૯૬૪ બેંક શાખામાં લગભગ ૫૦ હજાર બેંક કર્મચારીઓ પૈકી અંદાજે ૧૮ હજાર બેંક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળે છે .
મહાગુજરાત બેંક એમ્પ્લોયીઝ એસોસીએશનના જનરલ સેક્રેટરી જનક વિલે જણાવ્યું છે કે , મોટાભાગની બેંકોમાં કોવિડ -૧૯ ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે . અને આ બાબતે SLBC કન્વીનર અને ગુજરાત સરકારની ચીફ સેક્રેટરી સમક્ષ લેખિત રજુઆત કરાઈ છે.
મોટાભાગની બેંકો KYC , બેંક લોકરના ભાડાની વસૂલાત , બેંક ખાતામાં નોમિનીની નિમણૂંક , વગેરે હેતુસર ગ્રાહકોને રૂબરૂ બોલાવવામાં આવે છે અને તેના કારણે કોરોનાના સંક્રમણનો ભય વધી રહ્યો છે.