કોરોના વાયરસના સંક્રમણની અસર ભારત માં ઝડપથી વધતી જઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 7,466 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસ નોંધાવાની સાથે જ દેશમાં કોરોના થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,65,799 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, ગુરુવારે કોવિડ-19 થી 175 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 4,706 લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યાર સુધી 89,987 પોઝિટવ કેસ છે, જ્યારે 71,105 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ગયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં ગુરુવાર સાંજ સુધીના 24 કલાકમાં કોરોનાના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 15,572 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 454 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં 247, સુરતમાં 44 વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છમાં 7, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 4, આણંદ, પંચમહાલમાં 2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 કેસ એમ રાજ્યમાં કુલ 367 નવા કેસ નોંધાયેલ છે.
આમ, હાલ રાજ્યમાં કુલ 6611 એક્ટીવ કેસ છે. જેમાં 76 વેન્ટિલેટર ઉપર છે. જ્યારે 6535 સ્ટેબલ છે.